
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યું છે. યશસ્વીએ ભારતની પહેલી ઇનિંગમાં 258 બોલનો સામનો કર્યો અને 175 રન બનાવ્યા, જેમાં 22 ચોગ્ગા ફટકાર્યા. 23 વર્ષીય ખેલાડી પાસે બેવડી સદી ફટકારવાની તક હતી પરંતુ કમનસીબે તે રન આઉટ થયો હતો.

યશસ્વી જયસ્વાલ અને ભારતીય કેપ્ટન શુભમન ગિલ વચ્ચે એક કન્ફ્યુઝન થયું હતું તેના કારણે વિકેટ પડી. યશસ્વીએ જેડન સીલ્સનો ફુલ લેન્થ બોલ મિડ-ઓફ તરફ રમ્યો. યશસ્વીને લાગ્યું કે અહીં એક રન બનાવી શકાય છે, પરંતુ તે ખરેખર હતો નહીં. યશસ્વી રન માટે દોડી પડ્યો, પરંતુ શુભમન ગિલે કોઈ સંકેત આપ્યો નહીં, જેના કારણે કન્ફ્યુજનની સ્થિતિ ઊભી થઈ. ત્યાર પછી યશસ્વીએ ક્રીઝ પર પાછા ફરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન, તેજનારાયણ ચંદ્રપોલે ઝડપથી બોલ પકડ્યો અને વિકેટકીપર ટેવિન ઇમલાચને પહોંચાડ્યો. ઇમલાચે સ્ટમ્પ્સ વિખેરી નાખ્યા, અને યશસ્વીને રન આઉટ થવું પડ્યું.
રન આઉટ થયા પછી, યશસ્વી જયસ્વાલ ખૂબ જ નિરાશ દેખાતો હતો. તે ટીમના કેપ્ટન શુભમન ગિલ સાથે વાતચીત કરતો પણ જોવા મળ્યો. યશસ્વીની નિરાશા સ્વાભાવિક હતી, કારણ કે તેની પાસે બેવડી સદી ફટકારવાની સારી તક હતી. પિચ તરફથી બોલરોને કોઈ મદદ મળી રહી ન હતી, જેના કારણે બેટિંગ કરવું સરળ બન્યું હતું.

ઓન-ફિલ્ડ અમ્પાયર રિચાર્ડ ઇલિંગવર્થે ઉતાવળમાં આંગળી ઉંચી કરી. જોકે, તેમણે આ મામલો થર્ડ અમ્પાયરને મોકલવો જોઈતો હતો, કારણ કે તે ઘણા નજીકનો નિર્ણય લાગતો હતો. યશસ્વી જયસ્વાલ સ્પષ્ટપણે ક્રીઝની થોડો બહાર હતો, પરંતુ વેસ્ટ ઇન્ડીઝના વિકેટકીપર ટેવિન ઇમલાચે પણ લગભગ ભૂલ કરી હતી.
વેસ્ટ ઇન્ડીઝની ટીમ પણ આ મામલો થર્ડ અમ્પાયર પાસે મોકલાશે તેની રાહ જોઈ રહી હતી, પરંતુ અમ્પાયર રિચાર્ડ ઇલિંગવર્થે આંગળી ઉંચી કરી દીધી હતી. આઉટ થયા પછી, યશસ્વી જયસ્વાલ થોડીવાર ત્યાં જ રહ્યો, પરંતુ આખરે તેને મેદાન છોડીને પેવેલિયન પરત ફરવું પડ્યું. યશસ્વી ગુસ્સાથી તેના કપાળ પર હાથ પછાડ્યા અને કેપ્ટન શુભમન ગિલ સાથે થોડી વાર દલીલ પણ કરી. અમ્પાયર રિચાર્ડ ઇલિંગવર્થે તેમને પેવેલિયન પાછા ફરવાનો નિર્દેશ આપ્યો.

રન આઉટ થયેલા ભારતીય બેટ્સમેનોમાં શ્રેષ્ઠ સ્કોર (ટેસ્ટ ક્રિકેટ) : 218 સંજય માંજરેકર-વિરુદ્ધ પાકિસ્તાન-લાહોર 1989, 217 રાહુલ દ્રવિડ-વિરુદ્ધ ઇંગ્લેન્ડ-ધ ઓવલ 2002, 180 રાહુલ દ્રવિડ-વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા-કોલકાતા 2001, 175 યશસ્વી જયસ્વાલ-વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ-દિલ્હી 2025, 155 વિજય હજારે-વિરુદ્ધ ઇંગ્લેન્ડ-મુંબઈ 1951, 144 રાહુલ દ્રવિડ-વિરુદ્ધ શ્રીલંકા-કાનપુર 2009.

યશસ્વી જયસ્વાલે ભારતીય ટીમ માટે અત્યાર સુધીમાં 26 ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેમણે 48 ઇનિંગ્સમાં 52.60ની સરેરાશથી 2420 રન બનાવ્યા છે. 23 વર્ષીય ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાં સાત સદી અને 12 અડધી સદી ફટકારી છે. યશસ્વીએ ટેસ્ટ ક્રિકેટમાં 299 ચોગ્ગા અને 43 છગ્ગા ફટકાર્યા છે.

