
ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહના પિતા, અભિનેતા અને કોચ યોગરાજ સિંહે હાલમાં જ તેમની પહેલી પત્ની પાસે માફી માંગી. તેમણે સ્વીકાર્યું કે, તેમણે તેમના પુત્ર યુવરાજ અને તેની પત્ની પર અનેક અત્યાચાર કર્યા છે. આંખોમાં આંસુ સાથે, તેમણે બતાવ્યું કે તેમને આ વાત ત્યારે જ સમજાઈ જ્યારે તેઓને મૃત્યુનો સામનો થયો હતો. તેઓ હાથ જોડીને માફી માંગતા રડી પડ્યા.
યોગરાજે સ્વીકાર્યું કે, તેમણે તેમના જીવનમાં ઘણી ભૂલો કરી હતી. તે ભૂલોનો અહેસાસ થતાં, તેમણે તેમના પુત્ર યુવરાજ સિંહ અને તેની પહેલી પત્ની પાસે માફી માંગી. યુવરાજ સિંહ જ્યારે 17 વર્ષનો હતો ત્યારે યોગરાજે તેમને છોડી દીધા હતા અને તે ભારત માટે ક્રિકેટ પણ રમતો ન હતો. યોગરાજે જણાવ્યું છે કે, જ્યારે તેઓ યુવરાજને ક્રિકેટ લિજેન્ડ બનવા માટે તાલીમ આપી રહ્યા હતા, ત્યારે તેમણે તેમની પહેલી પત્ની પર ખૂબ જ કડક પ્રતિબંધો લગાવ્યા હતા.

ફાઇવવુડ પોડકાસ્ટમાં, યોગરાજે ખુલાસો કર્યો કે, થોડા મહિના પહેલા, તેમને મૃત્યુનો ખુબ જ નજીકથી અનુભવ થયો હતો. તેઓ તે અકસ્માતમાં નસીબજોગે બચી ગયા હતા, પરંતુ તેમના મતે, તે એક ચમત્કાર હતો. ડૉક્ટરે તેમને કહ્યું હતું કે, તેમના જીવિત રહેવાની શક્યતા ઘણી ઓછી છે, પરંતુ આ ઘટનાએ તેમને અંદરથી બદલી નાખ્યા. તેમણે પોતાની કરેલી ભૂલો માટે પસ્તાવો કરવાનું નક્કી કર્યું.
યોગરાજે કહ્યું, ‘મને ઘણો પસ્તાવો છે. મેં જે કંઈ કર્યું, તે મારા સન્માન અને પરિવાર માટે કર્યું. મારા ગુરુએ મને ભૂતકાળ ભૂલી જવાનું કહ્યું હતું, તેથી મેં મોટાભાગની યાદો ભૂંસી નાખી છે. પરંતુ હું બધાની હાથ જોડીને માફી માંગુ છું. મેં જે કોઈને દુઃખ પહોંચાડ્યું છે, પછી ભલે તે અજાણી વ્યક્તિ હોય કે પરિવારના સભ્ય, કૃપા કરીને મને માફ કરો. હું મારા બાળકો, મારી પત્ની, યુવીની માતા અને બીજા બધાની માફી માંગુ છું. તે બધી જ મારી ભૂલ હતી.
જો મેં ક્યારેય કોઈ મિત્ર કે વિરોધીઓ વિશે કંઈ ખરાબ કહ્યું હોય, પછી ભલે તે ક્રિકેટમાં હોય કે ફિલ્મોમાં, હું માફી માંગુ છું. મારામાં કોઈ સારાપણું નથી, ફક્ત ખામીઓ જ છે. મેં જીવનમાં ક્યારેય કંઈ સારું કામ કર્યું નથી.’

યોગરાજે આગળ કહ્યું કે, હવે તે ક્યારેય તેની ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન કરવાનું વિચારી પણ શકતો નથી. તેમણે કહ્યું, ‘હું શાંતિથી સૂઈ શકું છું અને કોઈ દવા લેતો નથી. જ્યારે હું મરીશ, ત્યારે ગુરુને મારા પર ગર્વ થાય.’ તેણે એ પણ ખુલાસો કર્યો કે, તે તેની પહેલી અને હાલની પત્ની બંનેને ‘માતા’ કહે છે અને તેના પુત્રોને તેના ગુરુના રૂપમાં જુએ છે.
યોગરાજે જણાવ્યું છે કે, તે હવે લગભગ તેના આખા પરિવારથી દૂર થઈ ગયો છે અને કોઈને પણ યાદ કરતો નથી. તેમણે એમ પણ કહ્યું કે તેમણે હવે ધર્મનો રસ્તો પકડી લીધો છે અને હવે તેમના માટે કોઈ દીકરો કે દીકરી નથી.
અહીં તમને જણાવી દઈએ કે, યોગરાજે બે વાર લગ્ન કર્યા છે, પહેલા લગ્ન શબનમ કૌર સાથે, જેમનાથી તેમને બે દીકરાઓ, યુવરાજ સિંહ અને જોરાવર સિંહ છે. જ્યારે છૂટાછેડા પછી, તેણે સતબીર કૌર સાથે લગ્ન કર્યા, જેમનાથી તેને એક દીકરો, વિક્ટર સિંહ અને એક દીકરી, અમરજોત સિંહ છે.

