
એક સમયે સ્તન કૅન્સરને મધ્યવયની સ્ત્રીઓની બીમારી માનવામાં આવતું હતું. પરંતુ હવે 45 વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રીઓમાં પણ આ રોગ ઝડપથી વધતો જોવા મળી રહ્યો છે. આ પેટર્ને ડૉક્ટરો અને પરિવારોને ચિંતામાં મૂકી દીધા છે. આ વધારાના ઘણા કારણો છે જેમાં મુખ્ય પાંચ કારણો છે — જેનેટિક્સ, જીવનશૈલી, પ્રજનનનાં પેટર્નમાં ફેરફાર અને પર્યાવરણના પ્રભાવ. ચાલો આ પાંચ મુખ્ય કારણો જાણીએ.
1. જિનેટિક પરિબળો અને મર્યાદિત સ્ક્રિનિંગ
યુવા વયે સ્તન કૅન્સર થવામાં જિનેટિક કારણો મહત્વની ભૂમિકા ભજવે છે. ખાસ કરીને BRCA1 અને BRCA2 જેવા જીન્સમાં થયેલા ફેરફારોના કારણે જોખમ વધી શકે છે. ભારતીય અભ્યાસોમાં આ પ્રકારના મ્યુટેશનનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. ભારતમાં જિનેટિક ટેસ્ટિંગ હજી મોંઘું અને સીમિત છે. વધુ મહિલાઓ માટે સસ્તું અને સરળ જિનેટિક સ્ક્રિનિંગ ઉપલબ્ધ કરાવવાની જરૂર છે જેથી સમય પહેલા જોખમ ઓળખી શકાય.

2. કેમિકલ્સનો ખતરો
આપણા આધુનિક જીવનમાં એન્ડોક્રાઇન-ડિસ્રપ્ટિંગ કેમિકલ્સ (EDCs)ની અસર મોટી માત્રામાં મળી આવે છે — જેમ કે પ્લાસ્ટિક, કોસ્મેટિક્સ, કીટનાશક અને પેકેજ્ડ ખોરાકમાં આ કેમિકલ્સ હોય છે જે આપણા શરીરમાં પ્રવેશે છે. આ રસાયણો હોર્મોનલ તંત્રને બગાડે છે અને સ્તન કૅન્સરના જોખમને વધારી શકે છે. વૈજ્ઞાનિકો આ સંબંધને વધુ ગંભીરતાથી તપાસી રહ્યા છે.
3. જીવનશૈલી અને મેટાબોલિક હેલ્થ
આજની બેઠાડું જીવનશૈલી, અનિયમિત આહાર અને તણાવ યુવા સ્ત્રીઓમાં જોખમ વધારતા પરિબળો છે. મોટાપો, પ્રદૂષણ, ઊંઘની અછત અને માનસિક તણાવ હોર્મોનના સંતુલનને ખલેલ પહોંચાડે છે. કોર્ટિસોલ અને મેલાટોનિન જેવા હોર્મોનના અસંતુલનથી શરીરની રક્ષણાત્મક શક્તિ ઘટે છે.

4. પ્રજનનની બદલાતી પેટર્ન
આધુનિક સ્ત્રીઓમાં વિવાહ અને માતૃત્વમાં વિલંબ જોવા મળે છે. બાળકોની સંખ્યા ઓછી રાખવાને કારણે ઓછી પ્રસૂતિ થાય છે. આ કારણથી ઓછી સ્તનપાનની અવધિ જોવા મળે છે. આ બધાં પરિબળો તેમના જીવનકાળમાં જોખમને થોડું વધારશે તે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે.
5. સ્ક્રિનિંગ અને સમયસર નિદાનમાં ખામીઓ
ભારતમાં મોટાભાગની સ્ક્રિનિંગ યોજનાઓ 40 વર્ષથી નીચી ઉંમરની સ્ત્રીઓને આવરી લેતી નથી. મેમોગ્રાફી યુવા સ્ત્રીઓમાં ઓછું અસરકારક છે કારણ કે તેમનાં સ્તનો વધુ ઘન હોય છે. પરિણામે, ઘણા કેસો મોડા તબક્કે જ શોધાય છે.

શું છે ઉપાય?
વિશેષરૂપે, યુવા સ્ત્રીઓમાં HER2-પોઝિટિવ અને ટ્રિપલ-નેગેટિવ જેવા વધુ આક્રમક પ્રકારના કૅન્સર જોવા મળે છે, જે ઝડપથી ફેલાય છે અને ઉપચાર માટે મર્યાદિત વિકલ્પો ધરાવે છે. તેથી, ઓછા ખર્ચે અલ્ટ્રાસાઉન્ડ અને ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામ જેવી સુવિધાઓ દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવી જરૂરી છે. સરકારને NPCDCS કાર્યક્રમમાં યુવા સ્ત્રીઓને પણ સામેલ કરવો જોઈએ અને જોખમ આધારિત સ્ક્રિનિંગ અપનાવવું જોઈએ.
ભારતને તાત્કાલિક વધુ મજબૂત કૅન્સર રજીસ્ટ્રીઝ અને જાગૃતિ કાર્યક્રમોની જરૂર છે. યુવા સ્ત્રીઓએ નિયમિત સ્વ-પરીક્ષણ, લક્ષણોનું વહેલું નિરીક્ષણ અને તાત્કાલિક તબીબી સલાહ લેવી જોઈએ.
સમયસર નિદાન જ જીવન બચાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે. પરંતુ તે માટે જાગૃતિ, આરોગ્યસુવિધા અને નીતિગત પરિવર્તન જરૂરી છે.
