
કોલકાતામાં દક્ષિણ આફ્રિકાના હાથે 30 રનથી મળેલી હારથી ભારત એવા તબક્કે પહોંચી ગયું છે જ્યાં છેલ્લા દાયકામાં ક્યારેય નહોતું થયું. ટીમ ઈન્ડિયા ગભરાટ, અસ્થિરતા અને પસંદગી અંગે ઊંડી અસુરક્ષાના ચરમ બિંદુ પર પહોંચી ગઈ હોય તેવું લાગે છે. આ ફક્ત હાર નથી, પરંતુ છેલ્લા 13 મહિનાથી ચાલી રહેલી ચિંતાની વાર્તામાં નવું અને સૌથી પીડાજનક પ્રકરણ છે.
આ હાર ઘણું બધું કહી જાય છે…તે ટીમે વર્ષોથી ઘરઆંગણે જે ઓળખ કેળવી છે તેના તૂટવાની વાર્તા કહે છે. એટલા માટે આ પરિણામ તમામ દર્શક માટે કોઈપણ સામાન્ય હાર કરતાં વધુ નિરાશાજનક છે.

ભારતીય ક્રિકેટ ચાહકો ચેતેશ્વર પૂજારા અથવા વિરાટ કોહલી જેવા સ્ટાર્સને ટેસ્ટમાં વન-ડાઉન પર જોવા માટે ટેવાયેલા છે, તેથી વોશિંગ્ટન સુંદરને તે સ્થાન પર જોવું આશ્ચર્યજનક હતું.
ખરેખર, કોલકાતા ટેસ્ટમાં વોશિંગ્ટન સુંદરને જોઈને નિરાશામાં વધારો થયો. સુંદર પ્રતિભાશાળી છે, પરંતુ તેની ઓળખ અત્યારે ફક્ત બોલિંગ-ઓલરાઉન્ડર તરીકેની છે. આ જગ્યાએ ટીમના ‘સંતુલનની મર્યાદાઓ’નો ઉલ્લેખ કરીને તેને ત્રીજા સ્થાને રમવા મોકલવાથી સ્પષ્ટ થાય છે કે પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ કેવી રીતે અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે.

આ એ જ ટીમ છે જેને એક સમયે ઘરેલુ મેદાન પર ‘અજેય’ માનવામાં આવતી હતી, પરંતુ હવે તે અજાણી, અસંતુલિત અને અસ્થિર દેખાઈ રહી છે.
કોલકાતા ટેસ્ટ સાથે, ભારતે છેલ્લી છ ઘરેલુ ટેસ્ટમાં ચાર હારનો સામનો કરવો પડ્યો છે. ગયા વર્ષે, ન્યુઝીલેન્ડે ભારતને 3-0થી હરાવ્યું. વેસ્ટ ઇન્ડીઝ સામે માત્ર 2-0થી શ્રેણી જીત આ પતનને ભાગ્યે જ છુપાવી શકે છે.
આટલું જ નહીં, છેલ્લા 13 મહિનામાં ઘરઆંગણે ભારતનો 2-4થી જીત-હારનો રેકોર્ડ છે. 1972 પછી આ તેનો સૌથી ખરાબ ઘરઆંગણેનો રેકોર્ડ છે. આ અગાઉ, 1969-72 વચ્ચે, જ્યારે વિરોધી ટીમ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની હતી, ત્યારે ભારતને છ ઘરેલુ ટેસ્ટમાં ચાર હારનો સામનો કરવો પડ્યો હતો.

આટલા ટૂંકા ગાળામાં ઘરઆંગણે સતત ચાર હાર જોવી આજના સમયમાં આઘાતજનક છે. ફેબ્રુઆરી 2017થી સપ્ટેમ્બર 2024 વચ્ચે ભારતનો 34 ઘરઆંગણે રમાયેલી ટેસ્ટમાં પ્રભાવશાળી 25-4નો રેકોર્ડ હતો, તે સમયગાળા દરમિયાન વિશ્વની કોઈપણ ટીમ કરતાં જીતનો આ રેકોર્ડ ઘણો સારો હતો. પરંતુ ન્યુઝીલેન્ડ શ્રેણી પછીનું આ પતન દર્શાવે છે કે ટીમ હવે પહેલા જેવી નથી રહી.
ગભરાટમાં મોટા ફેરફારો. પરંતુ અહીં વાસ્તવિક ખતરો આ જ છે. કોલકાતાની હાર પછી, સોશિયલ મીડિયાથી લઈને પેનલ ચર્ચાઓ સુધી મોટા પસંદગી ફેરફારોની માંગણીઓ વધી રહી છે. પરંતુ ભારત આજે જે સ્થતિમાં છે, ત્યાં ‘મોટા ફેરફારો’ ઊંધા સાબિત થઇ શકે છે. ટીમની સમસ્યાઓ ટેકનિક, સંકલન અને આત્મવિશ્વાસની છે, પ્રતિભાની નહીં. આ સમય નવા નવા ચહેરાઓને આમતેમ ઉછાળવાનો નથી, પરંતુ મુખ્ય માળખાને સ્થિર રાખવાનો છે.

સમસ્યા પિચની નથી, પરંતુ ઓળખ તૂટી જવાની છે. ઇડન ગાર્ડન્સની પિચ અસમાન હોઈ શકે છે, પરંતુ ભારતની સમસ્યા તેનાથી ઘણી ઊંડી છે. ટીમ હવે ઘર આંગણે પહેલા જેવી નથી રહી. વન-ડાઉનમાં અનિશ્ચિતતા, મધ્યમ ક્રમમાં સતત ફેરફારો, બોલિંગ કોમ્બિનેશનમાં સંતુલનનો અભાવ અને આત્મવિશ્વાસનો સંપૂર્ણ અભાવ… આ બધા મળીને દર્શાવે છે કે, આ તે ભારત નથી જેને એક સમયે ‘ઘર આંગણે બુલડોઝર’ કહેવામાં આવતું હતું.

