
આમ આદમી પાર્ટી દિલ્હીથી ઉદય પામી પંજાબમાં સત્તારૂઢ થઈ. જીતહારની થપાટો વચ્ચે આપ ગુજરાતમાં પોતાની સ્થિતિ મજબૂત કરી રહી છે. પણ કાર્યકર્તાઓની ખોટ અને સત્તાની લાલચ રાખનારા કાર્યકર્તાઓ આપનો સાથ છોડતા રહે છે. આ નાજુક સમીકરણો વચ્ચે આમ આદમી પાર્ટી પોતાના ૫ ધારાસભ્યોને લઈને સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતમાં પોતાની ડિજિટલ હાજરી પુરાવી રહી છે.
ધરાતલ પર સમર્પિત અનુભવી કાર્યકર્તાઓની ખોટ અને સામે ભાજપ પાસે ગુજરાતના પ્રત્યેક ઘર સુધી સંપર્ક કરનાર કાર્યકર્તાઓની ફોજ. આમ જોઈએ તો ફિલ્ડ પર કોઈ સરખામણી થઈ શકે નહીં પરંતુ યુગ સોશિયલ મીડિયાનો છે અને અહીં આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત જણાઈ રહી છે.

હાલમાં વિસાવદરના મતદારોએ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય પદે ચૂંટ્યા છે. પાટીદાર મતોનું અહીં ભાજપ અને આપમાં બે ભાગમાં ધ્રુવીકરણ થયું છે. ગોપાલ ઇટાલિયાની આંદોલનાત્મક આવડત પાટીદાર સમાજના મતદારોને આકર્ષી રહી છે એ સ્પષ્ટ જણાય રહ્યું છે. ખેડૂતોને લાગુ પ્રશ્નો બાબતે ગોપાલ ઈટાલિયા ગંભીરતા પૂર્વક વિષયો ઉપાડી રહ્યા છે અને પાટીદાર ખેડૂતો ખાસ કરીને સોશિયલ મીડિયામાં સક્રિય ખેડૂતો આમ આદમી પાર્ટી અને ગોપાલ ઈટાલિયાને બહુમત સમર્થન આપી રહ્યા છે. ધારાસભ્ય તરીકે ગોપાલ ઈટાલિયા સ્થાનિક પ્રશ્નો ઉજાગર કરે એ યોગ્ય છે પરંતુ ગોપાલ ઇટાલિયાને આગળ કરી આમ આદમી પાર્ટી પાટીદાર સમાજની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહી છે અને જો એમ મહદઅંશે પણ સફળતા મળે તો આમ આદમી પાર્ટી માટે સત્તા પર આવવાના દરવાજા ખુલતા જણાશે. હાલતો આપની સ્થિતિ ગુજરાતમાં વિરોધપક્ષને યોગ્ય પણ નથી પરંતુ આવનારા સમયમાં જો સામાજિક વિષયો આગળ કરીને આમ આદમી પાર્ટી મતોનું ધ્રુવીકરણ કરી શકી તો ચોક્કસ મજબૂત વિરોધપક્ષ તરીકે ગુજરાતમાં હાજરી નોંધાવી શકશે.
આ સંદર્ભે એક મહત્વનો પ્રશ્ન એ છે કે શું આ રણનીતિ ખરેખર પાટીદાર સમાજના હિતની છે કે માત્ર ચૂંટણીલક્ષી લાભ માટેનું સાધન છે? ૨૦૧૫-૧૭ના પાટીદાર આંદોલન પછી પાટીદાર સમાજમાં ભાજપ પ્રત્યે નારાજગી હતી પરંતુ ભાજપે સમય જતાં સંગઠન અને સરકારી યોજનાઓ દ્વારા તેને મોટા ભાગે ઉકેલી લીધી છે. આજે પાટીદાર મતો ફરી એકવાર ખુલ્લા મેદાનમાં નથી. ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓની આંદોલનાત્મક શૈલી યુવા અને સોશિયલ મીડિયા સક્રિય યુવાવર્ગને આકર્ષે છે પરંતુ ગામડેગામડે હજુ પણ ભાજપનું ધરાતલનું નેટવર્ક અજેય છે.

AAP ની સૌથી મોટી મર્યાદા એ છે કે તે હજુ સુધી પાટીદાર સમાજને આખેઆખું લોભાવી શકી નથી માત્ર એક ભાગને નારાજ કરીને બીજા ભાગને લલચાવવાનો પ્રયાસ કરી રહી છે. આ રણનીતિ લાંબા ગાળે નિષ્ફળ જશે તો પાટીદાર સમાજ ફરી પૂર્ણ રીતે ભાજપ તરફ વળી શકે છે અને આપ ફરી એકવાર માર્જિનલ પ્લેયર બની જશે.
ટૂંકમાં હા એ વાત ચોક્કસ છે કે AAP પાટીદાર સમાજને લોભાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ ગુજરાતની ધરાતલની હકીકત અને ભાજપની સંગઠનાત્મક તાકાતને જોતાં સફળ થશે નહીં. ગુજરાતમાં લોભામણી રાજનીતિ હજુ ઘણી લાંબી ચાલવાની છે. કોને કેટલી સફળતા મળશે એ તો ૨૦૨૭ની ચૂંટણી જ નક્કી કરશે.

