fbpx

રોજ પોલીસ સ્ટેશન આવીને પૂછતો, ‘મારી પત્ની મળી?’…, પછી ખબર પડી તેણે પોતે જ ભઠ્ઠીમાં નાખી દીધી હતી

Spread the love

રોજ પોલીસ સ્ટેશન આવીને પૂછતો, 'મારી પત્ની મળી?'..., પછી ખબર પડી તેણે પોતે જ ભઠ્ઠીમાં નાખી દીધી હતી

મહારાષ્ટ્રના પુણેના વારજે વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક પતિએ તેની પત્નીને ગેરકાયદેસર સંબંધો હોવાની શંકા રાખીને તેની હત્યા કરી અને મૃતદેહના પુરાવાનો નાશ કર્યો હતો. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે, તેણે પોતે જ ગુમ થયાની ફરિયાદ નોંધાવી. જોકે, પોલીસની ઝીણવટભરી અને સતત કરાઈ રહેલી તપાસમાં સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો. મૃતકની ઓળખ અંજલી સમીર જાધવ તરીકે થઈ છે. પોલીસે તેના 42 વર્ષીય પતિ સમીર પંજાબરાવ જાધવની ધરપકડ કરી છે.

Pune-Man-Kills

આ કેસ 28 ઓક્ટોબરથી શરૂ થાય છે, જ્યારે સમીર વારજે પોલીસ સ્ટેશન ગયો અને તેની પત્નીના અચાનક ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર નીતિન ગાયકવાડને તપાસ સોંપવામાં આવી હતી. સમીરે ખુલાસો કર્યો કે, અંજલી છેલ્લે શ્રીરામ મિસલ હાઉસ, ગોગલવાડી ફાટા, શિંદેવાડીની નજીક જોવા મળી હતી. કેસ રાજગઢ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ થઈ, પરંતુ આ સમય દરમિયાન, સમીરનું વર્તન પોલીસને શંકાસ્પદ લાગવા લાગ્યું.

ફરિયાદ પછી, સમીર વારંવાર પોલીસ સ્ટેશન આવતો હતો અને પૂછતો હતો કે, ‘શું તમને મારી પત્ની મળી?’ તેની દેખીતી રીતે નકલી દેખાતી આ ચિંતા અધિકારીઓ માટે કોઈ ચેતવણીથી ઓછી ન હતી. આ માટે, પોલીસે ઉલ્લેખિત સ્થળોએથી CCTV ફૂટેજ તપાસ્યા, પરંતુ અંજલી ત્યાં ક્યાંય મળી ન હતી.

Pune-Man-Kills3

જ્યારે સમીરના નિવેદનો વારંવાર બદલાતા રહ્યા, ત્યારે પોલીસે તેની કડક પૂછપરછ કરી. દબાણ વધતાં તે ભાંગી પડ્યો અને સમગ્ર કાવતરું જાહેર કર્યું. પૂછપરછ દરમિયાન, સમીરએ કબૂલ્યું કે, તેને તેની પત્ની પર સતેજ પાટિલ નામના યુવક સાથે અફેર હોવાની શંકા હતી.

તેમના મોબાઇલ ચેટ જોયા પછી તેઓ દરરોજ ઝઘડતા હતા. આ કારણે, તેણે લગભગ એક મહિના પહેલા હત્યાનો પ્લાન ઘડ્યો હતો. આરોપી ફેબ્રિકેશનનું કામ કરતો હતો. તેણે ગોડાઉનમાં લોખંડની એક ભઠ્ઠી બનાવી હતી.

સમીરે ગોગલવાડી વિસ્તારમાં 18,000 રૂપિયા પ્રતિ માસના ભાવે એક ગોડાઉન ભાડે રાખ્યું હતું. તેણે ત્યાં પહેલાથી જ લોખંડની ભઠ્ઠી, લાકડા અને પેટ્રોલ ભેગું કરી રાખ્યું હતું. 26 ઓક્ટોબરના રોજ, સમીરે અંજલીને કારમાં લોન્ગ ડ્રાઇવ પર જવા માટે લલચાવી અને ઘરની બહાર લઇ ગયો હતો. તેઓ બંને ખેડશિવાપુરના મરીઆઇ ઘાટ સુધી ગયા. પાછા ફરતી વખતે, તે બંનેએ નાસ્તા માટે બ્રાઉનસ્ટોન હોટેલમાં રોકાયા અને પછી સીધો ગોડાઉન તરફ ગયો હતો. ત્યાં બેસ્યા પછી તેણે અચાનક બંને હાથે અંજલિનું ગળું દબાવી દીધું. લગભગ દસ મિનિટમાં જ તે મારી ગઈ હતી. પછી તેણે તેના મૃતદેહને લોખંડની ભઠ્ઠીમાં નાખ્યું, પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. તેણે બળેલી રાખને નદીમાં ફેંકી દીધી અને લોખંડની ભઠ્ઠીને ભંગારમાં વેચી દીધી.

Pune-Man-Kills2

તેની ધરપકડ બાદ, એવું બહાર આવ્યું કે સમીરે હત્યા પહેલા ત્રણથી ચાર વખત રહસ્યમય હત્યાની ફિલ્મ ‘દ્રશ્યમ’ જોઈ હતી.

વારજે પોલીસે સમીર વિરુદ્ધ કલમ 302 (હત્યા), 201 (પુરાવાનો નાશ) અને ભારતીય દંડ સંહિતાની અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે. વધુ વિગતવાર તપાસ રાજગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. આ કાર્યવાહી ડેપ્યુટી પોલીસ કમિશનર સંભાજી કદમ, આસિસ્ટન્ટ કમિશનર ભાઉસાહેબ પટારે અને સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિશ્વજીત કૈંગડેના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. સબ-ઇન્સ્પેક્ટર સંજય નાર્લે અને નીતિન ગાયકવાડ, સ્ટાફ સભ્યો ગણેશ કરચે, સુનિલ મુતે, યોગેશ વાઘ, શરદ પોટે અને શિરીષ ગાવડેએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. પોલીસનું ધ્યાન અને ટેકનિકલ તપાસે પતિ દ્વારા કરવામાં આવેલા ‘ગુમ થયેલી પત્ની’ના કાવતરાનો સંપૂર્ણ પર્દાફાશ કર્યો, જેનાથી એક રહસ્યમય ગુના પરથી પડદો ઉઠી ગયો હતો.

error: Content is protected !!