fbpx

ગુજરાત નજીક દરિયામાં અજીબ હિલચાલ, પાણીમાં પરપોટાથી ગભરાટ, અરબી સમુદ્રમાં ગેસ લીકેજ કે બીજું કંઈક?

Spread the love

ગુજરાત નજીક દરિયામાં અજીબ હિલચાલ, પાણીમાં પરપોટાથી ગભરાટ, અરબી સમુદ્રમાં ગેસ લીકેજ કે બીજું કંઈક?

ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં એક અજીબોગરીબ ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. સ્થાનિક માછીમારોએ ઘણા વીડિયો કેપ્ચર કર્યા છે, જેમાં સમુદ્રનો મોટો હિસ્સો ઝડપથી ઊથલ-પાથલ કરતો દેખાય છે. પાણીમાં મોટા પરપોટા ઉભરી રહ્યા છે, જેનાથી એવું લાગે છે કે દરિયાનું પાણી ઉકળતું હોય. આ ઘટના ગુજરાતના દરિયાકાંઠાને અડીને આવેલા મહારાષ્ટ્રના પાલઘર જિલ્લા નજીક નોંધાઈ છે.

માછીમારોના મતે, આ દૃશ્ય ખૂબ અસામાન્ય છે અને તેનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો છે. ઈન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, પાલઘર જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના વડા વિવેકાનંદ કદમે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે આ ટર્બ્યૂલેન્સ ખૂબ જ અસામાન્ય છે અને નિષ્ણાત એજન્સીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરવાની જરૂર છે.

કદમના મતે, ‘ જે ટર્બ્યૂલેન્સ જોવા મળ્યું છે, તે ખૂબ જ અસામાન્ય છે. તેને સ્પેશિયલ મરીન અને ઇન્ડસ્ટ્રીયલ એજન્સીઓએ તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ.’ તેમણે એમ પણ કહ્યું કે આ સ્થાન વ્યસ્ત શિપિંગ રૂટ્સ અને ઉત્તમ માછીમારીના ગ્રાઉન્ડની નજીક છે. વીડિયોમાં બતાવવામાં આવેલા કોઓર્ડિનેટ્સ મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગો નજીક છે, એટલે હવે નેવિગેશન સુરક્ષાને લઈને વધુ ચિંતા છે.

અહેવાલો અનુસાર, સરકારે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફર્મેશન સર્વિસીસ (INCOIS)ની એક ટીમ ઘટનાસ્થળ પર તૈનાત કરવામાં આવી છે. તપાસ હેઠળ સંભવિત કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

Gujarat-coast1

કારણ શું હોઈ શકે છે?

આ ઘટના પાછળ ઘણા સંભવિત કારણો હોય છે. સૌથી વધુ ચર્ચા મિથેન ગેસ લીકની થઈ રહી  ​​છે. સમુદ્રતળમાંથી મિથેન ગેસ લીક ​​ઘણી જગ્યાએ જોવા મળ્યું છે, ખાસ કરીને જ્યાં ટેક્ટોનિક એક્ટિવિટી વધુ થાય છે. અરબી સમુદ્રનો આ ભાગ ટેક્ટોનિકલી સક્રિય છે, અને આ ભૂકંપ-પ્રેરિત હલનચલન અથવા ગેસ હાઇડ્રેટ્સના હાઇડ્રેટ અસ્થિરતાને કારણે હોઈ શકે છે.

આ ઉપરાંત, મુંબઈ હાઇ જેવા તેલ અને ગેસ ક્ષેત્રોમાં નાખેલી પાણીની અંદરની પાઇપલાઇનોમાં લીકેજ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો પાઇપલાઇન ફાટી ગઈ હશે તો ગેસ બહાર નીકળીને પાણીમાં પરપોટા બનાવી શકે છે. આ ઘટના સામે આવ્યા બાદ, અધિકારીઓએ માછીમારો અને જહાજોને આ ઝોનથી દૂર રહેવા અને અત્યંત સાવધાની રાખવાની સલાહ આપી છે.

Gujarat-coast2

તો, કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આબોહવા પરિવર્તન સમુદ્રની ઊંડાઈમાં પરિવર્તન લાવી રહ્યું છે, જેથી આવી ઘટનાઓમાં વધારો થઈ શકે છે. ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફર્મેશન સર્વિસીસ (INCOIS)ની એક ટીમને ઘટનાસ્થળ પર મોકલવામાં આવી છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનગ્રાફી (NIO) અને ONGC જેવી એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે.

સર્વે જહાજો પર સોનાર અને ગેસ સેન્સર લગાવીને તપાસ કરવામાં આવી રહી છે. પાણીના નમૂના લઈને એ જોવામાં આવશે કે, તેમાં મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અથવા કાર્બન ડાયોક્સાઇડ જેવા ગેસો કેટલી માત્રમાં છે. તપાસના પરિણામો નક્કી કરશે કે આ કુદરતી છે કે ઔદ્યોગિક અકસ્માત. હાલ માટે દરેકને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.

error: Content is protected !!