
ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઇએ હવાઈ હુમલામાં જીવ ગુમાવી દીધો છે. તેમના પુત્ર મોજતબા ખામેનેઇને દેશના નવા સુપ્રીમ લીડર તરીકે ચૂંટી લેવામાં આવ્યા છે. સરકારી મીડિયા અનુસાર, 28 ફેબ્રુઆરીએ તેહરાનમાં થયેલા હવાઈ હુમલામાં અલી ખામેનેઇની ઓફિસને નિશાન બનાવવામાં આવી હતી. આ હુમલામાં 86 વર્ષીય ખામેનેઇએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સરકારે જણાવ્યું કે, આ હુમલો ખાસ કરીને સરકારી ઠેકાણાઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ, ઈરાને 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે, સાથે જ 7 દિવસની સાર્વજનિક રજા પણ જાહેર કરવામાં આવી છે. દેશભરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, જેમાં મુખ્ય શહેરો અને સરકારી ઇમારતોની બહાર વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

કોણ છે મોજતબા ખામેનેઇની?
મોજતબા ખામેનેઇની જન્મ 1969માં મશહદ શહેરમાં થયો હતો. તેમણે ધાર્મિક વાતાવરણમાં શિક્ષણ મેળવ્યું હતું. ઈરાન-ઈરાક યુદ્ધના અંતિમ તબક્કા દરમિયાન તેમણે રિવોલ્યૂશનરી ગાર્ડમાં પણ કામ કર્યું હતું. તેમને લાંબા સમયથી તેમના પિતાના નજીકના માનવામાં આવતા હતા. એવું કહેવામાં આવે છે કે તેમણે પડદા પાછળ ઘણા મોટા નિર્ણયોમાં ભૂમિકા ભજવી હતી. જોકે તેમણે ક્યારેય કોઈ મુખ્ય સરકારી પદ સંભાળ્યું નહોતું, પરંતુ તેઓ પોતાના પિતાના વિશ્વાસુ સલાહકાર હતા. લશ્કરી અને અર્ધલશ્કરી દળો સાથે સારા સંબંધો હોવાનું કહેવામાં આવે છે.

વર્ષ 2009ના વિરોધ પ્રદર્શન દરમિયાન તેમનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું. કેટલાક લોકોએ આરોપ લગાવ્યો હતો કે તેમણે પ્રદર્શનોને સખ્તાઇથી દબાવવામાં ભૂમિકા ભજવી હતી. હવે, તેમના સર્વોચ્ચ નેતા બનવાથી દેશમાં એક નવી રાજકીય ચર્ચા શરૂ થઈ છે. વર્ષ 1979ની ક્રાંતિ દરમિયાન, વંશના આધારે સત્તાના હસ્તાંતરણનો વિરોધ કરવામાં આવ્યો હતો. એટલે, કેટલાક લોકો તેમની પસંદગી પર સવાલ ઉઠાવી રહ્યા છે. હાલમાં, લશ્કરી સમર્થનને કારણે મોજતબા ખામેનેઇને એક મજબૂત નેતા માનવામાં આવે છે. આગામી દિવસોમાં એ સ્પષ્ટ થઈ જશે કે તેમનું નેતૃત્વ દેશને કઈ દિશામાં લઈ જાય છે.
