
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે ઇંધણ પુરવઠાને લઈને મચેલી અફરાતફરીની અસર ભારતીય રસોડા સુધી ન પહોંચે તે માટે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર LPG સિલિન્ડરના કાળાબજારને રોકવા માટે બુકિંગ નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.
હવે LPG સિલિન્ડર માટે બુકિંગનો સમયગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. એવું જોવા મળ્યું હતું કે, જે લોકો અગાઉ 55 દિવસની અંદર સિલિન્ડર બુક કરાવતા હતા. તેમણે ગભરાઈને 15 દિવસની અંદર બુકિંગ શરૂ કરી દીધું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે ઘરેલુ ગ્રાહકો માટે LNGના ભાવમાં વધારો થવાની શક્યતા નથી. સરળ સપ્લાય ચેઇન જાળવવા માટે જો જરૂર પડે તો ઔદ્યોગિક ઉપયોગ માટે બનાવાયેલ LNGને ઘરેલુ ઉપયોગ તરફ ડાયવર્ટ કરવામાં આવશે. ઘરેલુ ગ્રાહકો માટે ભાવ ઘટાડાની કોઈ યોજના નથી.
પેટ્રોલ અને ડીઝલ પર શું અસર પડશે?
સોમવારે સૂત્રોએ ખાતરી આપી હતી કે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની કોઈ યોજના નથી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ 130 ડોલર પ્રતિ બેરલને પાર ન થાય ત્યાં સુધી સ્થાનિક ભાવ સ્થિર રહેશે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશમાં ઇંધણની કોઈ અછત નથી. ભારતમાં પૂરતો સ્ટોક છે, અને સરકારને અપેક્ષા છે કે ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ 100 ડોલરની આસપાસ જ રહેશે. દેશના કોઈપણ પંપ પર પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત નથી, એટલે ગભરાવાની જરૂર નથી.
