
સુપ્રીમ કોર્ટમાં હાલમાં જ છૂટાછેડા અને વૈવાહિક વિવાદ અંગે ખૂબ જ રસપ્રદ અને ગરમાગરમ ચર્ચા જોવા મળી હતી. આ કેસમાં, પતિ-પત્નીનું લગ્નજીવન ફક્ત 7 મહિના સુધી જ ટક્યું હતું, પરંતુ આ 7 મહિનામાં વિવાદ એટલો બધો વધી ગયો કે, ત્યાર પછી તે પતિના પરિવાર માટે કાનૂની અને નાણાકીય બોજ સુધી પહોંચી ગયો હતો.
સુનાવણી દરમિયાન, પતિના વકીલે કોર્ટમાં પોતાનો કેસ રજૂ કર્યો, જેમાં જણાવ્યું કે લગ્ન પછી દંપતી ફક્ત 7 મહિના માટે સાથે રહ્યા હતા. પતિએ સમાધાનના ભાગ રૂપે તેની પત્નીને અત્યાર સુધીમાં 1.65 કરોડ રૂપિયાની ખુબ મોટી રકમ ચૂકવી દીધી હતી. હતાશા વ્યક્ત કરતા, વકીલે કોર્ટને પૂછ્યું કે આટલી બધી રકમ ચૂકવ્યા પછી પણ પત્ની તેની પાસેથી હજુ કેટલા પૈસા માંગે છે.

વકીલે કોર્ટને તાત્કાલિક કેસ સમાપ્ત કરવા વિનંતી કરી, અને બતાવ્યું કે, આ એક જ વિવાદના કારણે તેના આખા પરિવારને ભારે કિંમત ચૂકવવી પડી છે. પત્નીએ તેના પરિવાર સામે કુલ 21 અલગ અલગ કેસ દાખલ કર્યા છે, જેના પરિણામે પતિની બહેન અને પિતા બંનેને જેલની સજા પણ થઈ છે.
પત્નીની વધતી જતી માંગણીઓથી હતાશ થઈને, પતિના વકીલે પ્રખ્યાત નાટ્યકાર વિલિયમ શેક્સપિયરના નાટક ‘ધ મર્ચન્ટ ઓફ વેનિસ’ના ક્રૂર પાત્ર ‘શાયલોક’નો ઉલ્લેખ કર્યો. વકીલે કહ્યું, ‘તે શાયલોક જેવું વર્તન કરી રહી છે, જે તેના દેવાના બદલામાં શરીરમાંથી એક પાઉન્ડ માંસ માંગે છે.’ પતિએ કોર્ટને વિનંતી કરી કે, તેની નાણાકીય ક્ષમતા હવે ખતમ થઈ ગઈ છે અને તે હવે વધુ ચૂકવણી કરી શકે તેમ નથી.

બીજી બાજુ, પત્નીના વકીલે કોર્ટને જણાવ્યું કે આ મામલો ફક્ત રોકડ ચુકવણીનો નથી. સાસરિયાઓ પાસે હજુ પણ તેનું 1 કિલોગ્રામ સોનું હતું, જે તેમણે ગીરવે મૂક્યું હતું. વકીલે સ્પષ્ટતા કરી કે, બંને પક્ષો વચ્ચેના અગાઉના કરાર મુજબ, પત્નીને ફક્ત તે અનુસાર રોકડ રકમ જ નહીં, પણ તેનું 1 કિલોગ્રામ સોનું પણ પાછું મળવું જોઈએ.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, કોર્ટે આખરે કેસનો ઉકેલ લાવવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં, કોર્ટે પતિને તેની પત્નીને 1 કિલોગ્રામ સોનું પાછું આપવાનો નિર્દેશ આપ્યો. જ્યારે પતિએ કહ્યું કે, તે હવે ખર્ચ ઉઠાવી શકતો નથી, ત્યારે કોર્ટે 1 કિલોગ્રામના બદલામાં રોકડ ચુકવણીનો આદેશ આપ્યો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે આદેશ આપ્યો હતો કે, પતિએ સોનાના વળતર તરીકે રૂ. 1.25 કરોડ ચૂકવવા પડશે. કોર્ટે એવી પણ શરત મૂકી હતી કે, પતિ સંપૂર્ણ રકમ (રૂ. 1.25 કરોડ) ચૂકવે પછી જ દંપતીને કાયદેસર છૂટાછેડા આપવામાં આવશે.
પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ