
હાલમાં રમાઈ રહેલી IPL 2026 મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા માટે એક દુઃસ્વપ્ન જેવું સાબિત થયું છે. મુંબઈની ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. ઈજાને કારણે છેલ્લી બે મેચમાં પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહીને કેપ્ટન હાર્દિક પંડ્યા હવે સવાલોના ઘેરામાં આવી ગયો છે. હવે એવું નિવેદન બહાર આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, MIની ફ્રેન્ચાઇઝીએ હાર્દિક પંડ્યાને ગુડબાય કહી દીધું છે. મુંબઈની ટીમ 11 મેચ રમ્યા પછી 9મા સ્થાને છે. ટીમ 8 વખત હારી છે અને ફક્ત 3 જ વખત જીતી છે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર ક્રિસ શ્રીકાંતે દાવો કર્યો છે કે, મુંબઈએ હાર્દિક માટે પોતાની ઇચ્છાઓ સ્પષ્ટ કરી દીધી છે.

તેની યુટ્યુબ ચેનલ પર બોલતા શ્રીકાંતે કહ્યું, ‘એવું લાગે છે કે, હજુ સુધી કોઈ સમાચાર નથી. હજુ સુધી કોઈ તરફથી સત્તાવાર અપડેટ આવ્યું નથી. એવું લાગી રહ્યું છે કે, તેઓએ હકીકતમાં કહી દીધું છે કે, ‘તારી હવે જરૂર નથી, તું જઈ શકે છે.’ તમે હાર્દિકની વાતો પણ સાંભળી હશે. તેઓ કાં તો તેને છોડી દેશે, અથવા ફક્ત એટલું જ કહેશે, ‘ભાઈ, દરેક વસ્તુ માટે આભાર, અને હવે આગળ વધી જા.’

તેમણે વધુમાં ઉમેર્યું, ‘આવતા વર્ષે તે ક્યાં જશે? શું તેને કોઈ ખરીદશે કે તે હરાજીમાં જશે? બંને પક્ષો માટે શ્રેષ્ઠ બાબત એ છે કે તેઓ કહે, ‘બોસ, તમે તમારા રસ્તે જાઓ, હું મારા માર્ગે જઈશ. આપણે ક્યાંક ફરી મળીશું.’ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને પસંદગીકાર ક્રિસ શ્રીકાંતે દાવો કર્યો હતો કે, હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ પરથી જ નહીં, પરંતુ ટીમમાંથી દૂર કરવામાં આવશે. શ્રીકાંતે પંડ્યાને ‘પ્લાસ્ટિક કેપ્ટન’ પણ ગણાવ્યો હતો અને તેની વિચારસરણી પર સવાલ ઉઠાવ્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સે 2023 પછી IPL ઇતિહાસમાં સૌથી મોટો વેપાર કર્યો, જેનાથી હંગામો મચી ગયો. મુંબઈએ હાર્દિક પંડ્યાને તેમની ટીમમાં ઉમેર્યો. હાર્દિકે ગુજરાત માટે એક તેજસ્વી કેપ્ટન સાબિત થયો હતો. તેણે 2022માં ટીમને ટાઇટલ જીત અપાવી અને 2023માં ફાઇનલમાં પહોંચ્યો. આ જોઈને, મુંબઈ ટીમ પ્રભાવિત થઈ અને રોહિત શર્માને કેપ્ટનશીપ પરથી દૂર કર્યા. જોકે, હવે મુંબઈની ટીમ પોતાના જ નિર્ણય પર પસ્તાવો કરી રહી છે.