
સુરતના વેપારી કેતન પટેલ સાથે રૂ. 3.50 કરોડની છેતરપિંડીના મામલે એશિયન લેબગ્રોન ડાયમંડ કંપનીના ભાગીદારો અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યા અનુસાર ચોકબજાર વિસ્તારમાં હોફ ફર્નિચરના માલિક અને ડાયમંડ વ્યવસાય સાથે સંકળાયેલા કેતન પટેલને આરોપીઓએ લેબગ્રોન હીરાના ઉત્પાદનમાં મોટા નફાની લાલચ આપી હતી. અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીએ દર મહિને 300 લેબગ્રોન ડાયમંડ તૈયાર કરીને આપવાનો વાયદો કર્યો હતો અને તે અંગે નોટરાઇઝ કરાર પણ કરવામાં આવ્યો હતો.

આ લોકો પર વિશ્વાસ રાખીને કેતન પટેલે અમેરિકામાં રહેતા પોતાના બહેન-બનેવી પાસેથી મોટી રકમ મંગાવી અને કંપનીમાં રોકાણ કર્યું હતું. શરૂઆતમાં આરોપીઓએ કરાર મુજબ કેટલાક હીરા આપ્યા હતા, જેના કારણે વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો. પરંતુ બાદમાં તેમણે અચાનક ઉત્પાદન બંધ કરી દીધું અને હીરાની સપ્લાય રોકી દીધી હતી.
હીરાની સપ્લાય બંધ થતાં કેતન પટેલનો ધંધો અટકી ગયો હતો. તેમનું કરોડો રૂપિયાનું રોકાણ ફસાઈ ગયું હતું. જ્યારે તેમણે પોતાના પૈસા પરત માંગ્યા ત્યારે આરોપીઓએ બહાનાં બનાવવાનું શરૂ કર્યું. પછી ફોન બંધ કરીને સંપર્ક તોડી નાખ્યો હતો.
કેતન પટેલને હવે વિશ્વાસ થઇ ગયો હતો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. અંતે તેમણે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ સુરત ઇકો સેલને સોંપવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ગુરુવારે મોડી રાત્રે કાર્યવાહી કરીને અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીની ધરપકડ કરી હતી. શુક્રવારે તેમને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે હાલ ધરપકડ કરાયેલા અંકુશ નાકરાણી અગાઉ CBIના એક લોન ફ્રોડ કેસમાં પણ શામેલ હોવાનું બહાર આવ્યું છે. SIDBI લોન મેળવવા માટે કથિત બનાવટી દસ્તાવેજો રજૂ કરવાના આરોપસર નોંધાયેલા કેસમાં ડિસેમ્બર 2025માં CBI કોર્ટ દ્વારા તેમને દોષિત ઠેરવી સજા ફટકારવામાં આવી હતી. બીજી તરફ, લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા અનેક કરોડોના વિવાદોમાં પણ તેમનું નામ અગાઉ સામે આવી ચૂક્યું છે.