fbpx

શું મમતા બેનર્જીએ સાંસદ યુસુફ પઠાણનું રાજીનામું માંગ્યું? શું ગાંગુલી પઠાણ પાસે ગયા હતા? દાદાએ જણાવી ખરી હકીકત

Spread the love

શું મમતા બેનર્જીએ સાંસદ યુસુફ પઠાણનું રાજીનામું માંગ્યું? શું ગાંગુલી પઠાણ પાસે ગયા હતા? દાદાએ જણાવી ખરી હકીકત

ક્રિકેટના દિગ્ગજ અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી હાલમાં એક મોટા રાજકીય વિવાદમાં ફસાઈ ગયા છે. એક અખબારે દાવો કર્યો છે કે, સૌરવ ગાંગુલીએ મમતા બેનર્જીએ આપેલો એક ખાસ સંદેશ યુસુફ પઠાણ સુધી પહોંચાડ્યો હતો. જોકે, સૌરવ ગાંગુલીએ પોતે આગળ આવીને આ સમગ્ર અહેવાલને પાયા વિહોણો અને ખોટો ગણાવ્યો છે અને મીડિયા હાઉસને એક પત્ર લખ્યો છે.

Sourav Ganguly

4 જૂનના રોજ, કોલકાતાના એક અગ્રણી અખબારના પહેલા પાના પર એક સમાચાર પ્રકાશિત થયા હતા. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ CM મમતા બેનર્જી વતી સૌરવ ગાંગુલી બહેરામપુર લોકસભા બેઠકના સાંસદ યુસુફ પઠાણ પાસે ગયા હતા.

ગાંગુલીએ કથિત રીતે યુસુફ પઠાણને આ સંદેશ પહોંચાડ્યો હતો કે તેઓ પોતાના સંસદ પદેથી હટી જાય, એટલે કે તેમને રાજીનામું આપવાની વિનંતી કરવામાં આવી હતી. આ પાછળનો હેતુ એ જણાવવામાં આવ્યો હતો કે, જો યુસુફ પઠાણ બેઠક ખાલી કરે, તો તે બેઠક માટે પેટાચૂંટણી યોજાશે અને મમતા બેનર્જી પોતે ત્યાંથી ચૂંટણી લડી શકે છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, યુસુફ પઠાણે આ વાત સ્વીકારવાની ના પાડી દીધી હતી.

Sourav Ganguly

શનિવારે, ગાંગુલીએ બધા મીડિયા હાઉસને એક સત્તાવાર પત્ર લખીને સમગ્ર અહેવાલને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો હતો. તેમણે આ વિશે સ્પષ્ટપણે ત્રણ બાબતો કહી હતી.

પહેલી વાત, મમતા બેનર્જીએ ક્યારેય કોઈ પણ સંદેશ આપવા માટે કહ્યું નથી, ન તો યુસુફ પઠાણને તેમની બેઠક ખાલી કરવા માટે કે ન તો કોઈ અન્ય કોઈ બાબતે. બીજી વાત એ કે, તેમણે ક્યારેય યુસુફ પઠાણનો સંપર્ક કર્યો નથી, અને ન તો આવો કોઈ સંદેશ આપ્યો હતો.

Mamata Banerjee

હવે ત્રીજી વાત એ કે, તેમણે ક્યારેય કોઈ સંદેશ આપ્યો જ નથી તો, યુસુફ પઠાણનો ઇનકાર કરવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી. ગાંગુલીએ એમ પણ કહ્યું કે, તેઓ ક્યારેય કોઈ રાજકીય મામલામાં સામેલ થયા નથી.

પોતાના પત્રમાં ગાંગુલીએ મીડિયાની પણ ટીકા કરી. તેમણે કહ્યું કે, સમાચાર પ્રકાશિત કરતા પહેલા આ સત્ય છે કે નહીં તેની ચકાસણી કરવી જરૂરી છે. તેમણે લખ્યું કે સત્ય જાણ્યા વિના આવા સમાચાર પ્રકાશિત કરવા અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે અને તેના કારણે તેમના વિશે ખોટી છાપ ઉભી થાય છે. તેમણે મીડિયાને અફવાઓ અને અટકળો પર આધાર ન રાખવા અને તેની સત્યતા ચકાસ્યા પછી જ સમાચાર પ્રકાશિત કરવા અપીલ કરી હતી.

Leave a Reply

error: Content is protected !!