fbpx

અલ નીનો ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં સ્થિતિ ગંભીર બનાવશે, C3Sના મતે આ 3 મહિના છે ભારે

Spread the love

અલ નીનો ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં સ્થિતિ ગંભીર બનાવશે, C3Sના મતે આ 3 મહિના છે ભારે

યુરોપિયન યુનિયનની હવામાન એજન્સી, કોપરનિકસ ક્લાઇમેટ ચેન્જ સર્વિસ (C3S) દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય આગાહીઓએ ભારતના આગામી ચોમાસા (જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર) વિશે ખુબ મોટી ચિંતા વ્યક્ત કરી છે. વૈશ્વિક હવામાન મોડેલોના વિશ્લેષણ સૂચવે છે કે, આ વર્ષે ભારતના મોટા ભાગોમાં સરેરાશ કરતા ઘણો ઓછો વરસાદ પડવાની ધારણા છે. આ અહેવાલ સ્પષ્ટપણે સૂચવે છે કે, પેસિફિક મહાસાગરમાં ઉભરી રહેલો ખતરનાક ગોડઝીલા અલ નીનો ભારતના પશ્ચિમ અને મધ્ય રાજ્યોમાં ચોમાસાને ગંભીર અસર કરી શકે છે.

El Nino Impact-Monsoon

જો આ આગાહી સાચી સાબિત થાય છે, તો તેની સીધી અને ગંભીર અસર લાખો ખેડૂતો, ગ્રામીણ અર્થતંત્ર અને શહેરી પાણી પુરવઠા પર પડશે. વૈશ્વિક હવામાન કેન્દ્રો દ્વારા તૈયાર કરાયેલા મલ્ટી-મોડેલ હવામાન નકશા અનુસાર, દેશના પશ્ચિમ-મધ્ય ભાગોમાં આ વર્ષે સામાન્ય કરતા ખુબ ઓછો વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાત, આ દુષ્કાળ આવી શકે તેવા રાજ્યોની યાદીમાં ટોચ પર છે, જ્યાં વરસાદમાં ખુબ મોટો ઘટાડો થવાની ધારણા છે. આ ઉપરાંત, આ બદલાતી હવામાન પેટર્નની સૌથી ખતરનાક અસર કોંકણ અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે.

આ વિસ્તારોમાં સરેરાશ વરસાદની તુલનામાં 100થી 200 mm કે તેથી ઓછો વરસાદ પડી શકે છે, જે મહારાષ્ટ્ર, મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોના મુખ્ય કૃષિ અને શહેરી વિસ્તારો માટે ગંભીર ખતરો ઉભો કરે છે. આંધ્રપ્રદેશના કેટલાક ભાગો પણ ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે છે.

El Nino Impact-Monsoon

હવામાનશાસ્ત્રીઓના મતે, જ્યારે પણ ભારતમાં ચોમાસું નબળું પડે છે અથવા દુષ્કાળ પડે છે, ત્યારે તે સીધું અલ નીનો સાથે જોડાયેલું હોય છે. અલ ​​નીનો એક એવી કુદરતી આબોહવાની ઘટના છે, જેમાં મધ્ય અને પૂર્વીય પેસિફિક મહાસાગરમાં સમુદ્ર સપાટીનું તાપમાન અસામાન્ય રીતે વધે છે. જ્યારે આ તાપમાન ખૂબ જ ઝડપથી અને ખુબ મોટા પ્રમાણમાં વધે છે, ત્યારે વૈજ્ઞાનિકો તેને ‘ગોડઝિલા અલ નીનો’ કહે છે.

જૂન 2026ના પ્રારંભિક ડેટા દર્શાવે છે કે, આ સિસ્ટમ ઝડપથી મજબૂત થઈ રહી છે. તેની અસરથી વૈશ્વિક પવન પેટર્નમાં ફેરફાર થાય છે, જે ભારત તરફ ફૂંકાતા ચોમાસાના પવનોને નબળા પાડે છે. વાદળો બનવાનું ઓછું થાય છે. ભારતીય હવામાન વિભાગે પહેલાથી જ સમગ્ર જૂનથી સપ્ટેમ્બર સીઝન માટે લાંબા ગાળાના સરેરાશના માત્ર 90 ટકાથી 92 ટકા વરસાદ થવાની આગાહી કરી છે, જે ‘સામાન્યથી ઓછો’ છે.

El Nino Impact-Monsoon

આ નબળા ચોમાસાની પહેલી અને સૌથી વિનાશક અસર દેશના કૃષિ વિભાગ પર પડશે. ભારતના મુખ્ય ખરીફ પાક, જેમ કે ચોખા, કઠોળ, કપાસ અને તેલીબિયાં, સંપૂર્ણપણે ચોમાસાના વરસાદ પર આધાર રાખે છે. વરસાદના અભાવને કારણે પાકના ઉત્પાદનમાં ઘટાડો થઇ શકે છે, જેના કારણે ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થઈ શકે છે અને મોંઘવારીમાં વધારો થઈ શકે છે.

આ ઉપરાંત, દેશના ઘણા ભાગોમાં જળાશયો અને બંધોમાં પાણીનું સ્તર પહેલાથી જ ઘણું ઘટી ગયું છે કારણ કે વરસાદ ન આવવાને કારણે તે ફરીથી ભરાયા નથી. પરિણામે, આગામી દિવસોમાં, માત્ર ગ્રામીણ વિસ્તારો જ સિંચાઈ સંકટનો સામનો કરશે નહીં, પરંતુ મુંબઈ અને દિલ્હી જેવા મોટા શહેરોને પણ પીવાના પાણીની તીવ્ર અછતનો સામનો કરવો પડી શકે છે.

El Nino Impact-Monsoon

ભલે આ વૈશ્વિક આગાહી અત્યંત ચિંતાજનક છે, હવામાનશાસ્ત્રીઓ કહે છે કે, એમાં હજુ પણ એક આશાનું કિરણ રહેલું છે. આ આગાહી સિઝન શરૂ થવાના ઘણા અઠવાડિયા પહેલા બહાર પાડવામાં આવી હોવાથી, ભવિષ્યમાં આ મોડેલોમાં કેટલાક ફેરફારો પણ થઈ શકે છે.

આ ઉપરાંત, સમગ્ર ભારતમાં પરિસ્થિતિ એકસરખી રહેશે નહીં, દેશના કેટલાક પૂર્વી અને ઉત્તરીય ભાગોમાં હવામાન સારું રહેવાની અપેક્ષા છે, જેના કારણે ત્યાં ઓછું નુકસાન થશે. જો કે, મળી રહેલા આ સતત વૈજ્ઞાનિક સંકેતોને ધ્યાનમાં રાખીને, સરકારો અને ખેડૂતોએ યોગ્ય પાણી સંગ્રહ, પાણી-કાર્યક્ષમ પાક પસંદ કરવા અને વૈકલ્પિક સિંચાઈ પ્રણાલીઓ પર હવે કામ કરવાનું શરૂ કરી દેવું જોઈએ.

Leave a Reply

error: Content is protected !!