
ન્યૂઝીલેન્ડના વિદેશ મંત્રી વિન્સ્ટન પીટર્સે દેશની શાસક નેશનલ પાર્ટી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે સરકાર પર ઇમિગ્રેશન નીતિમાં ‘ગુપ્ત રીતે’ ફેરફાર કરવાનો આરોપ લગાવ્યો છે, જેના કારણે ભારત ગુસ્સે થઇ શકે છે. જોકે, ન્યૂઝીલેન્ડ સરકારે આ આરોપોને ‘સંપૂર્ણપણે પાયાવિહોણા’ ગણાવીને નકારી કાઢ્યા છે. વિન્સ્ટન પીટર્સે સૌપ્રથમ X પર પોસ્ટ કરીને આ મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારપછી તેમણે ભારત-ન્યૂઝીલેન્ડ મુક્ત વેપાર કરાર (FTA) બિલના પ્રથમ વાંચન દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો.

પીટર્સે દાવો કર્યો હતો કે, સરકારે અચાનક પોતાનું વલણ બદલી નાખ્યું છે અને ફક્ત ભારતીયોને જ લક્ષ્ય બનાવે એવા ઇમિગ્રેશન નિયમો લાગુ કર્યા છે. પીટર્સે આરોપ લગાવ્યો હતો કે, અધિકારીઓએ મંત્રીઓને ચેતવણી આપી હતી કે, તેઓ જે ફેરફારો પ્રસ્તાવિત કરી રહ્યા છે તે ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેના સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે. પીટર્સ અનુસાર, ન્યૂઝીલેન્ડને વ્યવસાય-મૈત્રીપૂર્ણ દેશ બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જો કે, સરકારના આવા પગલાં ન્યૂઝીલેન્ડની પ્રતિષ્ઠાને કલંકિત કરી શકે છે.
પીટર્સે જણાવ્યું હતું કે, આમ કરવાથી કાનૂની પડકારો, ભારતની નારાજગી, અથવા બદલો, અથવા બંને થઈ શકે છે.

વિન્સ્ટન પીટર્સનો આરોપ છે કે, અધિકારીઓએ આ મુદ્દા અંગે મંત્રીઓને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત ફેરફારો કરવાથી ભારત સાથે ન્યુઝીલેન્ડના દ્વિપક્ષીય સંબંધોને નુકસાન પહોંચી શકે છે. આ ઉપરાંત, વ્યવસાય માટે દેશની પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે, અને સરકારને કાનૂની પડકારો અથવા નવી દિલ્હી તરફથી સંભવિત બદલાની કાર્યવાહીનો સામનો પણ કરવો પડી શકે છે. તેમણે કહ્યું, ‘અમે એવા પુરાવા પણ જોયા છે કે, જેમાં અધિકારીઓ ચર્ચા કરી રહ્યા છે કે, ભારતીય પ્રતિક્રિયાના ડરથી આ ફેરફારોને પબ્લિકમાં જાહેર ન કરવા જોઈએ.’
પીટર્સ અનુસાર, પ્રસ્તાવિત ફેરફારોમાં ભારતીય નાગરિકો માટે શ્રમ બજાર અને આર્થિક જરૂરિયાતોના પરીક્ષણો લાગુ કરવાનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ FTA ભાગીદાર દેશોના નાગરિકોને લાગુ પડતું નથી. આની અંદર ભારતીયોને ન્યુઝીલેન્ડની અંદરથી કામચલાઉ વર્કિંગ એન્ટ્રી વિઝા માટે અરજી કરતા અટકાવવા, ભાગીદારો અને બાળકોની વાત આવે ત્યારે ભારતીય નાગરિકો સાથે અલગ વર્તન કરવાનો અને તેમને રહેઠાણની જરૂરિયાતોમાં કામચલાઉ વર્કિંગ વિઝા દરમિયાન મેળવેલા કાર્ય અનુભવનો સમાવેશ કરવાથી રોકવાનો સમાવેશ થાય છે.

પીટર્સે સંસદમાં ભારત-ન્યુઝીલેન્ડ FTA બિલના પ્રથમ વાંચન દરમિયાન તેમના આરોપોને ફરી વખત કહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અધિકારીઓએ ભારત તરફથી પ્રતિક્રિયાના ડરથી ફેરફારોની જાહેરમાં જાહેરાત ન કરવાની ચર્ચા કરી હતી. જોકે, બિલનું પ્રથમ વાંચન 29 મત વિરુદ્ધ 93 મતોથી પસાર થઇ ગયું હતું, જેમાં નેશનલ, લેબર અને ACT પક્ષોનો ટેકો હતો, જ્યારે અન્ય પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો.
વાણિજ્ય મંત્રી ટોડ મેકલેએ પીટર્સના દાવાઓને ફગાવી દેતા કહ્યું કે, ન્યુઝીલેન્ડ ફર્સ્ટ પાર્ટીએ આ કરાર પર વિચાર કરવો ખોટો હતો. આ અગાઉ સંસદમાં, સાંસદ મેકલેએ આ કરારને ‘પેઢીમાં એકવાર થનારો’ સોદો ગણાવ્યો હતો. આનાથી ભારતમાં થતી વર્તમાન નિકાસના 95 ટકા ભાગ પર ટેરિફ ઘટશે, અને પહેલા દિવસથી જ 57 ટકા ડ્યુટી-મુક્ત થઈ જશે.