
ડાયમંડ સિટી, ટેક્સટાઈલ હબ અને ગુજરાતની આર્થિક રાજધાની તરીકે ઓળખાતું સુરત શહેર ફરી એકવાર મેઘરાજાના પ્રકોપ સામે નિર્વસ્ત્ર ઊભું છે. જુલાઈ 2026ના પહેલા અઠવાડિયામાં ધોધમાર વરસાદે કેટલાક વિસ્તારોમાં 18 ઈંચ સુધીના વરસાદે શહેરને પાણીમાં ડુબાડી દીધું. રિંગ રોડ, કતારગામ, રાંદેર, અડાજણ, કાપોદ્રા અને સેન્ટ્રલ ઝોન સહિત અનેક વિસ્તારોમાં ત્રણ ચાર ફૂટ પાણી ભરાયું. મુખ્ય ખાડીઓ ઓવરફ્લો થઈ. હજારો લોકોને સ્થળાંતર કરવું પડ્યું, મૃત્યુ નોંધાયા અને વેપાર ઉદ્યોગને હજારો કરોડનું નુકસાન થયું. આ આપત્તિ કુદરતી છે પણ તેની અસર અને વ્યાપકતા માનવસર્જિત છે. મેઘરાજાએ સુરતની જનતાને ધ્યાને રાખીને પાલિકા અને તંત્રની પોલ ખોલી નાખી છે.

વર્ષોથી સુરત મહાનગરપાલિકા દર વર્ષે પ્રીમોન્સૂન કામોની જાહેરાત કરે છે. ડ્રેનેજ લાઈનો સાફ કરવી, પંપ સેટ કરવા, અંડરપાસ સાફ કરવા અને ખાડીઓની સફાઈ આ બધું મોટેભાગે કાગળ પર થયું હશે તે હાલની સ્થિતિ જોતા તાગ મેળવી શકાય છે. વાસ્તવિકતા જુદી છે માત્ર 15 મિનિટના વરસાદે પણ રસ્તા સ્વિમિંગ પૂલ બની જાય છે. આ વખતે ગણ્યા ન ગણાય એટલા સ્થળોએ પાણી ભરાયું. અનેક હેવી ડ્યુટી પંપ ચલાવ્યા છતાં પાણી નીકળી શક્યું નહીં. ડ્રેનેજ લાઈનોમાં કાદવ, પ્લાસ્ટિક અને કચરાનો ભરાવો એટલો હતો કે પાણીનો નિકાલ અશક્ય બની ગયો. આ કેવી તૈયારી છે? શું પાલિકા ફક્ત ફાઈલો ભરીને જવાબદારી પૂરી કરી લે છે?

સુરતનું ભૂગોળ જાણીતું છે. તાપી નદી, ખાડીઓ અને નીચા વિસ્તારોને કારણે શહેર પૂરપ્રવણ છે. 2006ના મહાપૂર પછી હજારો કરોડના કામો થયા. ડ્રેનેજ સિસ્ટમ વિસ્તૃત કરાઈ, પંપિંગ સ્ટેશનો બન્યા, ખાડીઓ પર કામ થયું પણ આ કામો કેટલા અસરકારક છે? દરેક વર્ષે એ જ જગ્યાઓએ પાણી ભરાય છે. અંડરપાસો પાણીમાં ડૂબી જાય છે. સ્લમ વિસ્તારોથી લઈને પોશ સોસાયટીઓ સુધી એકસરખી હાલાકી. આ દર્શાવે છે કે આયોજનમાં મૂળભૂત ખામી છે. વિકાસના નામે રસ્તા પહોળા કરાય છે, ઇમારતો ઊંચી થાય છે, પણ પાણીના નિકાલની વ્યવસ્થા અવગણાય છે. કોન્ક્રિટના જંગલ વધ્યા પણ કુદરતી વહેણ અવરોધાય છે.
તંત્રની બેદરકારી વધુ ચોંકાવનારી છે. અહીં વરસાદની આગાહી હોવા છતાં શાળાઓ બંધ કરવાનો નિર્ણય મોડો લેવાય. બસ સ્ટેશનો અને પાણીમાં ફસાયેલા લોકોની બચાવ કાર્યવાહીમાં વિલંબ જોવા મળ્યો. ઉદ્યોગોમાં ખાસ કરીને ટેક્સટાઈલ સેક્ટરમાં કરોડોનું નુકસાન થયું. નાના વેપારીઓની દુકાનો પાણીમાં ગરકાવ થઈ. સામાન્ય નાગરિકોને ઘરમાં પાણી ઘૂસ્યું, વીજળી કપાઈ, પીવાનું પાણી દૂષિત થયું. આ બધું જોતાં પ્રશ્ન ઊભો થાય છે પાલિકા અને જિલ્લા વહીવટી તંત્રની જવાબદારી ક્યાં છે? કોર્પોરેટરો અને અધિકારીઓના નિવાસસ્થાન વિસ્તારોમાં પણ પાણી ભરાયું હોય તો સામાન્ય નાગરિકની કેવી હાલત હશે?

સૌથી મોટી ટીકા તો પારદર્શકતા અને જવાબદારીની અભાવ પર છે. પૂર પછી સહાય જાહેર થાય છે મંત્રીઓ મુલાકાતે આવે છે, ફોટા ખેંચાય છે. પણ મૂળ સમસ્યાનું નિરાકરણ ક્યાં છે? વર્ષો વીતી જાય છે પણ એ જ ભૂલોનું પુનરાવર્તન થાય છે. ભ્રષ્ટાચાર અને કામચલાઉ વ્યવસ્થાના આરોપો વારંવાર લાગે છે. જો પ્રીમોન્સૂન કામો ખરેખર ગુણવત્તાવાળા હોય તો આટલી ઝડપથી શહેર પાણીમાં કેમ ડૂબી જાય? શું ફક્ત બજેટ ખર્ચવાનું છે કે વાસ્તવિક કામ કરવાનું?
સુરતના લોકો સહનશીલ છે. આપત્તિમાં એકબીજાને મદદ કરે છે. પણ તેમની સહનશીલતાનો લાભ લઈને તંત્ર નિષ્ક્રિય રહી ભ્રષ્ટાચાર કરતું રહે એ યોગ્ય ના કહેવાય. આધુનિક શહેરમાં આધુનિક ડ્રેનેજ સિસ્ટમ જોઈએ. સ્માર્ટ સિટીના નામે કેમેરા અને એપ્સ તો લાગે છે પણ મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ નબળું રહે છે? ખાડીઓનું નિયમિત સફાઈકામ, વૈજ્ઞાનિક ડ્રેનેજ મેપિંગ, બિલ્ટઅપ એરિયામાં પાણીના વહેણ માટે જગ્યા અને કડક મોનિટરિંગ જરૂરી છે. કેમ ખોળ રહી જાય, ખોટ માટે જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર કાર્યવાહી થવી જોઈએ કે નહીં?

મેઘરાજા કુદરતના સંદેશવાહક છે. તેમણે સુરતની જનતાને યાદ અપાવ્યું છે કે વિકાસના નામે જો પાયાની સુવિધાઓ અવગણાશે તો આપત્તિ આવશેજ. પાલિકા અને તંત્રે હવે કાગળ પરના કામો બંધ કરીને વાસ્તવિક પ્રજાલક્ષી અભિગમ સાથે આયોજન કરવું જોઈએ નહીંતર દરેક વર્ષે મેઘરાજા આવશે અને પોલ ખોલતા રહેશે. આ ટીકા માત્ર આક્ષેપ નથી પણ ચેતવણી છે, જો આ વખતે પણ બોધ ન લેવાય તો આગામી વર્ષે વધુ મોટી કિંમત ચૂકવવી પડશે.