fbpx

ગુજરાતના જૂના શિક્ષકોની ભરતી અંગે નવા નિયમ, ગ્રાન્ટેડ શાળાઓમાં ઓછામાં ઓછા…

Spread the love

જૂના શિક્ષકોની ભરતીપ્રક્રિયા લઇને શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતાઓ સાથે સાથે સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. એ મુજબ હવે જૂના શિક્ષક ભરતીમાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો 1:3નો રહેશે. શિક્ષણ વિભાગ સંલગ્ન ગ્રાન્ટેડ શાળાઓમાં (લઘુમતી સિવાય) અત્યારે સેવામાં હોય તેવા ઓછામાં ઓછાં 5 વર્ષનો અનુભવ ધરાવતા નિયમિત શિક્ષક જૂના શિક્ષક તરીકે અરજી કરી શકશે. આ આખી ભરતીપ્રક્રિયા પોર્ટલ માર્ફત ઓનલાઈન કરવામાં આવશે.

જાહેરાતની તારીખથી વયનિવૃત્તિ માટે 2 વર્ષ કરતા ઓછો સમય બાકી હોય તેવા શિક્ષક અરજી કરી શકશે નહીં. એટલું જ નહી જૂના શિક્ષક તરીકે ભરતી માટે શિક્ષક તરીકેના તેમના સમગ્ર સેવાકાળ દરમિયાન માત્ર એક જ વખત લાભ મળવાપાત્ર રહેશે અને જૂના શિક્ષક તરીકે નિમણૂક મળતા તે શિક્ષકની સેવા સળંગ ગણવાપાત્ર રહેશે. ગ્રાન્ટેડ શાળામાં શિક્ષક સહાયક તરીકે બજાવેલી ફિક્સ પગારની નોકરીનો અનુભવ માન્ય ગણાશે અને જૂના શિક્ષક ભરતીની લાયકાત તરીકે ઉમેદવારના શૈક્ષણિક અનુભવને આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે.

શિક્ષણ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે શિક્ષણ વિભાગના ઠરાવમાં 1:3ના રેશિયાથી શિક્ષકોની ભરતી કરવાની જોગવાઇ હતી. આ ભરતી વર્ષ 2011માં થઇ, ત્યારે જૂના શિક્ષકની ભરતી થઇ હતી. ત્યારબાદ વર્ષ 2016ની ભરતીમાં શિક્ષક તરીકેનો ફિક્સ પગારનો સમયગાળો ગણવો કે નહીં એ પ્રશ્નનું સમાધાન લાવવામાં આવ્યું છે, જેમાં વતનથી દૂર નોકરી કરતા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકને વતનનો તથા કુટુંબ સાથે રહેવાનો લાભ મળે અને સામાજિક જીવન અસ્ત-વ્યસ્ત થતું અટકે તેવો નિર્ણય કરાયો છે.

પહેલાં રાજ્યની ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ટ્રસ્ટ ભરતી કરતું હતું, પરંતુ પછી 2011માં કેન્દ્રીયકૃત ભરતી થતી હતી. રાજ્ય સરકાર TET-TAT પાસ ઉમેદવારોને જે તે સંબંધિત ટ્રસ્ટને મોકલતી અને ત્યાંથી નિમણૂક થતી. અગાઉ સ્થાનિક ઉમેદવારોને ભરતી કરવામાં આવતા હતા એટલે દૂર જવું પડતું નહોતું, પછી એવા પ્રશ્નો ઊભા થયા કે કોઈનું વતન સુરત હોય તો તેને દૂરના જિલ્લામાં જવું પડતું, એટલે જૂના શિક્ષકોની ભરતીનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો. આ જૂના શિક્ષકોની ભરતી એટલે કે માનો ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 100 જગ્યા હોય તેમાંથી 75 મેરિટમાંથી જ ભરતી કરાશે અને બાકીની 25 જગ્યા જે ઓલરેડી ગ્રાન્ટેડ શાળામાં શિક્ષક છે એ લોકોની તેમાંથી ભરતી થાય.

માની લઇએ કે જો કોઈ સુરત જિલ્લાનો ઉમેદવાર અમદાવાદમાં નોકરી કરતો હોય અને સુરત જિલ્લામાં ગ્રાન્ટેડ શાળામાં જૂના શિક્ષકની જગ્યા હોય તો તેને વતનમાં આવવાની તક મળે, તેના અમુક ધારાધોરણ હોય છે કે 5 વર્ષની નોકરી હોવી જોઇએ અને નિવૃત્તિનો સમય 2 વર્ષ કરતા વધુ સમય હોય તો જ અરજી કરી શકશે, તેમજ ગણિત-વિજ્ઞાનના શિક્ષકની જગ્યા ખાલી હોય અને તે ગણિત વિજ્ઞાનના શિક્ષક હોય તો જ તેની નિમણૂક થઈ શકે.

error: Content is protected !!