
પંજાબના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગુરુવારે પેપર લીક વિરોધી બિલ પર બોલતા કહ્યું કે, ઘણા લોકો મને પૂછતા હતા કે હું NEET પેપર લીક પર કેમ ચૂપ રહ્યો અને હું તેના વિશે ક્યારે બોલીશ. તેમણે ગૃહમાં પોતાના મૌન સાધવાનું કારણ જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા ચૂંટાયેલા ચઢ્ઢાએ કહ્યું કે, પહેલાં, જ્યારે હું વિપક્ષમાં હતો, ત્યારે પ્રશ્નો ઉઠાવવાનું મારું કામ હતું, અને મેં તે ફરજ પ્રામાણિકપણે નિભાવી હતી.
તેમણે કહ્યું કે હવે હું ટ્રેઝરી બેન્ચ પર છે, ત્યારે મારી ભૂમિકા બદલાઈ ગઈ છે; હવે મારી જવાબદારી ફક્ત પ્રશ્નો પૂછવાની નહીં, પણ ઉકેલો આપવાની છે. તેથી અમે નક્કી કર્યું કે હું ફક્ત ત્યારે જ બોલીશ જ્યારે અમારી પાસે આ સમસ્યાનો ઉકેલ હશે, અને આજે તે દિવસ છે. આજે, અમારી સરકાર આ બીમારીનો ઈલાજ લઈને આવી છે. કેમેરા સમક્ષ હાજર થઈને હું પણ બોલી શક્યો હોત, પરંતુ નહીં; તેના બદલે, અમે સમસ્યાનો ચોક્કસ ઉકેલ લાવ્યા છીએ.

ચઢ્ઢાએ કહ્યું કે, હું NEETના વિદ્યાર્થીઓને કંઈક કહેવા માંગુ છું, તમારો ગુસ્સો વાજબી છે, તમારી લાગણીઓ વાજબી છે, અને તમારી પીડા વાજબી છે. જ્યારે તમે તમારી પીડા વ્યક્ત કરી, પાક્કી વાત વડાપ્રધાને સાંભળી અને એક વાલીની જેમ સિસ્ટમ બદલી. અમારી સરકાર પહેલી વાર પેપર લીક સામે એક ફ્રેમવર્ક લઇને આવી છે. જ્યારે વિદ્યાર્થીઓની વાત આવી, ત્યારે સરકારે સાંભળ્યું અને પગલાં લીધાં.
વિદ્યાર્થીઓએ વડાપ્રધાન સમક્ષ જે આશા સાથે પોતાની ચિંતાઓ રજૂ કરી હતી તેના જવાબમાં તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા. ફક્ત 75 દિવસમાં ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં આવી; તપાસને લટકાવી નહીં. આગામી વખત, NEETનું પેપર OMR શીટ નહીં, કમ્પ્યુટર સિસ્ટમ દ્વારા લેવામાં આવશે. ગુનેગારોના મનમાં ડર પેદા કરવા માટે એક એવો કાયદો રજૂ કરવામાં આવ્યો છે, જે પાસ થયા બાદ કોઇ ગુનેગાર સપનામાં પણ પેપર લીકના વાત વિચારશે તો તેની આત્મા પણ ધ્રુજી ઉઠશે
પોતાના ભાષણમાં રાઘવ ચઢ્ઢાએ જવાબદારી અને નૈતિકતાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે જણાવ્યું હતું કે પેપર લીકના કિસ્સાઓમાં ઘટના એ ન જોવું જોઇએ કે કયા રાજ્યમાં બની, કયા મંત્રીના કાર્યકાળમાં બની, અથવા કયો રાજકીય પક્ષ સત્તામાં હતો તેના પર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ. તેમના મતે, પેપર લીક એક રાષ્ટ્રવ્યાપી સમસ્યા છે અને તેને સમગ્ર ભારતમાં સંગઠિત અપરાધ અને ક્રોનિક ડિસિઝ તરીકે જોવી જોઈએ.

આ સંદર્ભમાં તેમણે પંજાબનું ઉદાહરણ આપ્યું. ચઢ્ઢાએ કહ્યું કે 19 જુલાઈ, 2026ના રોજ પંજાબમાં ફાર્મસી ઓફિસર ભરતી પરીક્ષા દરમિયાન મોટા પાયે ગેરરીતિઓ પ્રકાશમાં આવી હતી. તેમના મતે, બ્લૂટૂથ ઉપકરણોનો ઉપયોગ કરીને લાઈવ નકલની સુવિધા આપવામાં આવી રહી હતી, અને એક કથિત છેતરપિંડી કરનાર સિન્ડિકેટ ઉમેદવારો પાસેથી નકલ કરાવવા માટે ₹13-13 લાખ સુધીનો ચાર્જ વસૂલી રહ્યું હતું.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પેપર લીકનો મુદ્દો કોઈ એક રાજ્ય કે પક્ષ પૂરતો મર્યાદિત નથી પરંતુ દેશના યુવાનોના ભવિષ્ય સાથે સંબંધિત ગંભીર મુદ્દો છે. તેથી, રાજકીય મતભેદોથી ઉપર ઉઠીને, તમામ પક્ષોએ પરીક્ષા પ્રણાલીમાં મહેનતુ વિદ્યાર્થીઓનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે કડક કાયદાઓનું સમર્થન કરવું જોઈએ.