
પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ અત્યાર સુધી ખૂબ જ નિરાશાજનક રહ્યો છે. ટીમને બંને શરૂઆતની મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ખેલાડીઓના નિરાશાજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ એક મોટો નિર્ણય લીધો છે. PCBએ કંઈક એવું કર્યું છે જેનાથી બધા સ્તબ્ધ થઈ ગયા છે.
સીરિઝની મધ્યમાં જ બોર્ડે મુખ્ય કોચ સરફરાઝ અહમદ, બોલિંગ કોચ ઉમર ગુલ અને મોહમ્મદ રિઝવાન સહિત સાત ખેલાડીઓને બહારનો રસ્તો બતાવી દીધો છે. આ અજીબગરીબ નિર્ણય પર પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને ભૂતપૂર્વ PCB ચેરમેન રમીઝ રાજાએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. BBC પોડકાસ્ટમાં વાત કરતા રમીઝ રાજાએ ટિપ્પણી કરી હતી કે ક્રિકેટના ઇતિહાસમાં આવી ઘટના ક્યારેય બની નથી. તેમણે PCBના આ પગલાને પેનિક બટન દબાવવાનું ગણાવ્યું.

રમીઝે કટાક્ષ કર્યો કે પાકિસ્તાને તો ખરેખર એક વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે. ક્રિકેટમાં આવું થતું નથી. આ તો ફૂટબોલ જેવું થઇ ગયું, જ્યાં સીઝનની મધ્યમાં જ મેનેજરને કાઢી મૂકવામાં આવે છે. આ સીરિઝ હજુ પણ ચાલી રહી છે; બોર્ડ સરળતાથી બીજા 10 દિવસ રાહ જોઈ શક્યું હોત.
રમીઝ રાજા એ વાતથી ખૂબ જ નારાજ છે કે ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ટીમમાં આટલી મોટી ઉથલપાથલ મચાવી દીધી. સાત નવા ખેલાડીઓને બોલાવવામાં આવ્યા છે, જેમાંથી પાંચ ખેલાડીઓએ ક્યારેય ટેસ્ટ ક્રિકેટ રમી નથી. રમીઝે ચેતવણી આપી હતી કે આવા વર્તનથી ટીમમાંથી બહાર કરાયેલા ખેલાડીઓનું મનોબળ તૂટી જશે અમે જે નવા ખેલાડીઓ આવ્યા છે, તેઓ પણ ભયભીત રહેશે. આનાથી ટીમમાં સ્વાર્થ વધશે અને દરેક વ્યક્તિ ફક્ત પોતાનું સ્થાન બચાવવા માટે રમશે.
રમીઝે સરફરાઝ અહેમદ અને ઉમર ગુલ જેવા દિગ્ગજોને જે રીતે બહાર કરવામાં આવ્યા તેના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આ એવા ખેલાડીઓ છે જેમણે વર્ષોથી પાકિસ્તાનને ગૌરવ અપાવ્યું છે, છતા તેમને અચાનક આ રીતે બહાર કરી દેવામાં આવ્યા છે. જો તમે તમારા દિગ્ગજોનો આદર નથી કરતા, તો ભવિષ્યમાં કોઈ પાકિસ્તાન ક્રિકેટ સાથે નોકરી કેમ કરવા માંગશે?

જ્યારે રમીઝને પૂછવામાં આવ્યું કે સમગ્ર પાકિસ્તાન ક્રિકેટ સિસ્ટમ કેવી રીતે સુધારશે? ત્યારે રમીઝ રાજાએ લાચારીની વ્યક્ત કરતા કહ્યું કે મને વાસ્તવમાં કોઇ આઇડિયા નથી. બધું જ પાટા પરથી ઉતરી ગયું છે. તેમનું માનવું છે કે આગામી એક કે બે વર્ષ આવી જ ઉથલપાથલથી ભરપૂર રહેશે.
ઇંગ્લેન્ડમાં પાકિસ્તાને પહેલી ટેસ્ટ મેચ એક ઇનિંગ અને 103 રનથી હારી હતી, જ્યારે લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટમાં 194 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ હવે 9 સપ્ટેમ્બરથી બર્મિંઘમના એજબેસ્ટન ખાતે રમાશે.